ભગવદ્ ગીતા અર્ક – 4
![ભગવદ્ ગીતા અર્ક - 4 https://divyamudita.com/bhagvad-geeta-ark-4/](https://divyamudita.com/wp-content/uploads/2022/02/ga4.png)
પાંડવો અને કૌરવો સામ-સામે…
અત્યાર સુધી આપણે જોયું કે પાંડવોએ દુર્યોધન પાસે આખું રાજ્ય જતું કરીને ફક્ત પાંચ જ ગામ માગ્યાં હતાં અને છતાં દુર્યોધને તે આપવાની મનાઈ કરી હતી. શાંતિદૂત તરીકે શ્રી કૃષ્ણ ભગવાન પણ ધૃતરાષ્ટ્ર પાસે ગયા હતા પણ એમનું પણ દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર ન માન્યા અને છેવટે યુદ્ધ અનિવાર્ય બન્યું.તો શ્રી કૃષ્ણ કોના પક્ષે રહેશે?શા માટે? તે હવે જોઈએ… ભગવદગીતા “ગીતોપનિષદ” તરીકે પણ સુપ્રસિદ્ધ છે. તે વૈદિક જ્ઞાનના સારરૂપ છે. જિંદગીમાં પળે પળે માર્ગદર્શન પૂરુ પાડનાર આ પુસ્તક મારા સુધી અનાયાસે જ પહોંચ્યું છે. હવે આગળ જોઇએ…..
કૌરવો અને પાંડવો બે પક્ષ પડી ગયા. અત્યંત ઉમદા ચરિત્ર ધરાવનાર આ પાંચેય પાંડવો શ્રીકૃષ્ણને ખુબ માન આપતા હતા, તેમની સલાહ માનતા હતા. એટલા માટે નહીં કે તેઓ તેમના મોસાળ પક્ષે ભાઈ થતા હતા એટલે!!! પરંતુ એટલા માટે કે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે તેવું તેઓ જાણતા હતા અને માટે તેમને સન્માન આપતા હતા. પરંતુ કૌરવો તેવું નહોતા કરતા.
શ્રી કૃષ્ણ પોતે ભગવાન તરીકે જાતે યુદ્ધમાં ભાગ નહોતો લેવાના. પરંતુ તેમણે પાંડવો અને કૌરવો સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કરેલો. કે… તેમના સૈન્યનો બંને પક્ષમાંથી જે પક્ષ ઉપયોગ કરવા ઈચ્છે તે કરી શકે અને બીજો પક્ષ તેમને સ્વયંને પથદર્શક તથા સહાયક તરીકે મેળવી શકે… તેવો પ્રસ્તાવ તેમણે બંને પક્ષ સમક્ષ મુકેલ. રાજકારણમાં કુટીલ એવા દુર્યોધને શ્રીકૃષ્ણની વિશાળ શસ્ત્ર સરંજામથી સજ્જ એવી સેનાની માગણી કરી અને એ માગણી તક ઝડપી લીધી જ્યારે પાંડવોએ સ્વયમ્ શ્રીકૃષ્ણને. આમ, શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષે અર્જુનના સારથિ તરીકે રહ્યા. અને તેમણે સુવિખ્યાત ધનુર્ધર એવા અર્જુનનો રથ હાંકવાની જવાબદારી લીધી. અને આમ, આપણી આ ભગવદ ગીતાનો પ્રારંભ થાય છે.
બંને પક્ષ યુદ્ધના મેદાનમાં સામ સામે છે. યુદ્ધ કરવા તૈયાર છે. ધૃતરાષ્ટ્ર પોતાના મંત્રી સંજય કે જે વ્યાસ મુનિનો શિષ્ય હતો.તે વ્યાસદેવની કૃપાથી રાજભવનમાં બેઠાં બેઠાં કુરુક્ષેત્ર પર થતી બધી ઘટનાઓ જોઈ શકતો હતો. એટલે ધૃતરાષ્ટ્ર યુદ્ધના મેદાન પર શું શું ચાલી રહ્યું છે તે સંજયને પૂછી રહ્યા છે. કેટલાય વડીલો પોતાનો ધર્મ નિભાવવા રાજા ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનના પક્ષે મને-કમને પણ પોતાનું કર્તવ્ય નિભાવવા રહેલા છે. અને શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનના સારથિ તરીકે પાંડવોની સેનામાં સલાહકાર તરીકે પણ છે.
Writer : સરોજબેન નાયક , રીટાયર્ડ શિક્ષિકા
TV સિરિયલ અને વેબ સીરિઝ એક્ટ્રેસ
YouTuber : GyanTrusha
Gandhinagar Metro & Cloth Look Fashion Magazine International